જય વસાવડા એ સજેસ્ટ કરેલ ૫ ગુજરાતી પુસ્તકો – ૨૦૧૬
લોકપ્રિય લેખક પોતે જયારે કોઈ પુસ્તકો નું સજેશન આપે ત્યારે વાંચકો માં એક અનેરો આનંદ, ઉત્સાહ જોવા મળે એ સ્વાભાવિક છે, અને એમાં પણ જય વસાવડા જેવા ખુબ જ બહોળી લોકચાહના ધરાવતા લેખક વેકેશન માં વાંચવા માટે પુસ્તકોની યાદી આપે ત્યારે તો ગુજરાત નો વાંચક વર્ગ ખુશખુશાલ થાય એ સ્વાભાવિક જ છે.
ગયા અઠવાડિયે આવેલ જયભાઈ ના લેખમાં એમને કુલ મળીને ૧૦ વેકેશનમાં વાંચવા લાયક પુસ્તકો નો ઉલ્લેખ કર્યો છે, જેમાંના ૫ ગુજરાતી પુસ્તકો નીચે મુજબ છે.

પુસ્તક ૧ નું નામ : ઉદયાસ્ત
લેખક: નિપેશ જે. પંડ્યા
પુસ્તક વિષે: ગુજરાતી ભાષામાં સોમનાથ વિશે ઘણી નવલકથાઓ લખાઈ છે, દ્વારકા વિશે તો કાવ્યો જ એટલાં રચાયાં કે નવલકથા લેખન માટે ખાસ કશું બાકી રહ્યું નહિ, અલબત્ત, સોમનાથ અને દ્વારકા બંનેને સાંકળી લઈને કોઈ નવલકથા લખાઈ હોય તેવું તો ઈતિહાસમાં (કદાચ) પહેલી વખત બન્યું છે.
આ ઐતિહાસિક નવલકથાનું નામ છે ઉદયાસ્ત દ્વારકા- સોમનાથ. WBG પબ્લિકેશન દ્વારા પ્રકાશિત આ નવલના સંશોધક અને લેખક છે નિપેશ જ. પંડ્યા. બેંગ્લોરમાં VLSI ક્ષેત્રમાં સક્રિય નિપેશભાઈએ આ કથાના સંશોધન અને લેખન માટે ઘણો સમય આપ્યો છે. આ નવલ એક હજાર વર્ષ પહેલાંના ઈતિહાસને જીવંત કરે છે, સુલતાન ગઝનીને યુધ્ધમાં હરાવવાની સાજીશનું તેમાં બયાન છે, સોમનાથ અને દ્વારકાના યોગને દર્શાવતી આ કથામાં લોક માન્યતાઓનો સમાવેશ કરાયો છે તે તેની મોટી વિશેષતા છે. આ નવલકથામાં દ્વારકા અને સોમનાથને લગતા અનેક પ્રશ્નોના ઉત્તર છે તો નવા પ્રશ્નો થાય તેવી બાબતો પણ છે. લેખક વાચકની આંગળી પકડીને તેને સોમનાથના સુવર્ણમંદિરમાં લઇ જાય છે તો ડૂબકી મારીને દરિયાના પેટાળમાં સુવર્ણદ્વારકાની યાત્રા પણ કરાવે છે.
પુસ્તક કિંમત રૂ. ૩૦૦
પુસ્તક ઓર્ડર આપવા માટે અહી ક્લિક કરો
પુસ્તક ૨ નું નામ : આશા અને ધીરજ
લેખક: એલેક્ઝાંડર ડૂમા
પુસ્તક વિષે: એલેક્ઝાંડર ડૂમાની જગપ્રસિદ્ધ ફ્રેંચ નવલકથા ‘કાઉન્ટ ઓફ મોન્ટે-ક્રિસ્ટો’નો અનુવાદ. માનવીના હૃદયની બે લાગણીઓ ~ પોતાને થયેલા નુકસાનનો બદલો લેવો અને તે માટેની સાધન સામગ્રી મેળવવા મથવું ~ આવા આધાર પર રચાયેલી આ કથા વાચકને રસતરબોળ કરી મુકે છે. કથાનો છેવટનો સંદેશ છે ~ આશા અને ધીરજ. ગમે તેવા સંકટોમાં જયારે હતાશા ઘેરી વળી હોય ત્યારે પણ આશા અને ધીરજથી ટકી રહેનારને માર્ગ મળી રહે છે.
પુસ્તક કિંમત રૂ.૧૫૦
પુસ્તક ઓર્ડર આપવા માટે અહી ક્લિક કરો
પુસ્તક ૩ નું નામ : રંગ છલકે
લેખક : કિન્નર આચાર્ય
પુસ્તક વિષે: એક પુસ્તક હાથમાં લો, અને એમાં જ આખા ગુજરાતના શહેરોની વાનગીઓની પણ સફર હોય અને સિક્કિમ કે હિમાચલની પણ, ઓશોનું બાળપણ પણ હોય અને પુખ્ત વયના ગાંધી પણ, દોસ્તી પર નિબંધ હોય અને ભારતીય વરસમાં કામવાસના પર સંશોધન પણ, ગુજરાતના પોલીસ અધિકારીઓ ય હોય અને લાદેનને મારવાનું ઓપરેશન પણ, નેનો ટેકનોલોજી પણ હોય અને બેંગકોક પણ, ભારતીય તહેવારો હોય અને પ્રયોગશીલ સિનેમા પણ, નરેન્દ્ર મોદી પણ મળે અને ગુલઝાર પણ અને બીજું ય ઘણું તો એને જ રિયલ વેકેશન કહેવાય! કલરફૂલ એન્ડ ચીઅરફૂલ. કિન્નર આચાર્યનું આ પુસ્તક વાંચતી વખતે અલકમલકની મલ્ટીપર્પઝ સફરની લિજ્જત મળે છે. એક બાજુથી રિસર્ચ કરીને પીરસાયેલું નોલેજ અને બીજી બાજુ ફર્સ્ટ હેન્ડ ઓબ્ઝેર્વેશન્સ અને એ બધું તેજતર્રાર ભાષામાં મસાલા સાથે વધારેલું! રજાઓમાં વાચનરસમાં તરબોળ કરી દેતું પુસ્તક.
પુસ્તક કિંમત રૂ. ૩૦૦
પુસ્તક ઓર્ડર આપવા માટે અહી ક્લિક કરો
પુસ્તક ૪ નું નામ : અનહદ બાની
લેખક :સુભાષ ભટ્ટ
પુસ્તક વિષે: ‘જીવન છોડવાનું કે પકડવાનું નથી, એમાં તરવાનું કે ડૂબવાનું નથી. એને તો બસ નીરખ્યા કરવાનું છે !’ આવું જ સાક્ષીભાવે જીવતા સુભાષ ભટ્ટથી આ કટારનો નિયમિત રીડબિરાદર અજાણ્યો નથી. આપણે ત્યાં ફિલોસોફી ફાડનારા પાનના ગલ્લે મળે, પણ ખરા ફિલોસોફર શોધવા માટે ગૂગલ સર્ચમાં એરર ૪૦૪ આવી જાય ! આ સુંદર ચિત્રોથી સજાવાયેલી કિતાબમાં પાને પાને સુફીઇઝમ અને તત્ત્વદર્શનનું તાઓ સવારની શબનમ તાજા ગુલાબની પાંદડીઓ પર ઝળહળે, એમ મઘમઘે છે ! નાનામાં નાની આધ્યાત્મિક કથાઓથી જીવનને જાણવા અને માણવા માટેનો દિવ્ય દરવાજો ઉઘડે છે. નમણી રમણી જેવી બૂક, જે ભીતરમાં પાનાઓ સાથે આત્માને રોશન કરતું અજવાળું સાચવીને બેઠી છે. ઓશો કે ટાગોરમાંથી પસાર થયાનો અહેસાસ ગુજરાતીમાં આવી શકે !
પુસ્તક કિંમત રૂ. ૧૨૫
પુસ્તક ઓર્ડર આપવા માટે અહી ક્લિક કરો
પુસ્તક ૫ નું નામ : જીવનપથના પગથિયાં
લેખક : રાજેશ પટેલ
પુસ્તક વિષે: ના, ના બહુ બધું મોટીવેશન ના હોય જીવનમાં. આ પુસ્તક કોરો આત્મવિશ્વાસ કેળવવા માટેની જુસ્સાદાર વાતોનું નથી. પણ જે જાણ્યા પછી જિંદગી આસાન થઇ જાયએવી નક્કર માહિતીનું છે. સમજણા થયા પછી ખબર પડે કે જિંદગીને તો પ્રશાસન અને તંત્રે જાતભાતના કાનૂનો અને દસ્તાવેજોના ખાનામાં એવી વહેંચી રાખી છે કે જાણે એ કોઈ અંતહીન ભૂલભૂલામણી હોય ! જન્મ-મરણનો દાખલો, લગ્નની નોંધણી, છૂટાછેડાના પેપર્સ, જમીન બિન ખેતી, જંત્રી, ગ્રાહક સુરક્ષા, આર.ટી.આઈ., પી.પી.એફ., જમીનના સર્વે નંબર, મતદાર યાદી, રસીકરણ… કેટલું ય તો ભણવામાં જ આવતું નથી. પણ જીવનમાં ડગલે ને પગલે ગણગણ કરતા મચ્છરની જેમ લોહી પી જાય છે. આવા અનેક રોજીંદા જીવનમાં જરૃરી કાયદા અને ફાયદાની સરળ ભાષામાં સમજૂતી આપતું પુસ્તક એક એન્જીનીયર રાજેશ પટેલે લખ્યું છે ! સરકાર જ કરી શકે એવું આ ભગીરથ કામ છે આ ! ગુજરાત-ભારતમાં જીવતા નાગરિકોનું જી.કે. વધારતું અભૂતપૂર્વક પુસ્તક.
પુસ્તક કિંમત રૂ. ૨૭૫
પુસ્તક ઓર્ડર આપવા માટે અહી ક્લિક કરો